
divyabhaskar.co.in · Mar 1, 2026 · Collected from GDELT
Published: 20260301T034500Z
ગૌવંશના રક્ષણમાં સરકારનો કોઇ રોલ નથી દેખાતો. ગૌહત્યા વિરોધી કાયદાનો અમલ નથી થયો. આશા હતી કે હિન્દુવાદી સરકાર આવશે તો બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ જશે પણ કોઇ સહકાર નથી આપતું..આ શબ્દો વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત ગૌરક્ષા વિભાગના પ્રાંત પ્રમુખ કિશોર વાટેલિયાના.છેલ્લા 4-5 દિવસમાં ગુજરાતમાં ગૌમાંસ અને ગૌવંશનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો. ગુજરાતમાંથી પકડાયેલા ગૌમાંસ મુદ્દે વિપક્ષે વિધાનસભામાં સરકારને ઘેરી હતી. આ તરફ સુરતના માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર હુમલો થયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરના અડાલજમાં લક્ઝુરિયસ કારમાં વાછરડાંની ચોરીના CCTV પણ સામે આવ્યા હતા.આવી ઘટનાઓ ગુજરાતમાં ઘણીવાર બને છે અને તેના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરે તે તો સમજી શકાય પણ હવે ખુદ ભાજપની ભગિની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે સરકાર સામે મોરચો ખોલ્યો છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે ગૌમાંસ અને ગૌવંશ વિશે વિહિપ, ભાજપ અને કોંગ્રેસ શું કહે છે.ગૌમાંસનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના જુદા-જુદા ધારાસભ્યોએ રાજ્યમાંથી ઝડપાયેલા ગૌમાંસ અંગે સરકારને સવાલ પૂછ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં કુલ 43 હજાર કિલો ગૌ માંસ પકડાયું છે. 433 વાહનો જપ્ત કરીને 339 વાહનોની હરાજી કરાઇ છે.વર્ષ 2024-25માં પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ ગૌમાંસ પકડાયું હતું. શહેર-જિલ્લાવાર આંકડા જુઓ.ગુજરાતના પાટનગરમાં જ વાછરડાની ચોરી ગાંધીનગરના અડાલજમાં આવેલા શનિદેવ મંદિરની સામેથી ગૌ તસ્કરો એક વાછરડાને ઉપાડી ગયા હતા. રાતના સમયે સફેદ કલરની કારમાં આવેલા તસ્કરોએ વાછરડાઓને કારમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પશુઓએ ચીસો પાડી હતી. જેના કારણે મંદિરના પૂજારી જાગી જતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી તસ્કરો ગભરાઇને ભાગી ગયા હતા પણ એક વાછરડાને કારમાં લઇ જવામાં સફળ રહ્યાં હતા.સુરતના હથોડા ગામે ગૌરક્ષકો-પોલીસ પર હુમલો સુરતના કોસંબા પાસે આવેલા હથોડા ગામમાં ગૌહત્યાની બાતમી મળી હતી. જેથી ગૌરક્ષકો અને પોલીસ ગામમાં ગયા હતા. જ્યાં તેમના પર હુમલો થયો હતો. આ હુમલામાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથામાં તલવારનો ઘા વાગ્યો હતો. જેના પછી 7 PI, 15 PSI સહિત પોલીસની 15 ટીમે ગામમાં કોમ્બિંગ કર્યું હતું અને શંકાસ્પદોને પકડ્યા હતા.હુમલા બાદ સુરતના હથોડા ગામે પોલીસની 15 ટીમ ઉતરી હતીVHP આકરા પાણીએ વિશ્વ હિન્દુ પરિષદના કિશોર વાટેલિયાએ ગૌમાંસ અને ગૌહત્યા મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ગૌવંશની હત્યા વિરોધી કાયદો લાગુ છે. ગૌ માંસની હેરાફેરી, ગૌ માંસનો સંગ્રહ અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડકમાં કડક કાયદાઓ છે. લાખો રુપિયાના દંડથી લઇને આજીવન કેદ સુધીની જોગવાઇઓ પણ છે. આમ છતાં મોટી સંખ્યામાં ગૌ માંસ પકડાયું છે એ પકડાયું કેમ? કેમ કે આપણે જે કાયદો બનાવ્યો છે તેની અમલવારી થઇ નથી. જો આ અમલવારી ન થઇ શકતી હોય તો હકીકતમાં આ તંત્રની નિષ્ફળતા છે.કાયદો કાયદાનું કામ કરે છેઃ ભાજપ જો કે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલે સરકાર કડક કાર્યવાહી કરતી હોવાનો દાવો કર્યો. ડૉ. અનિલ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું, ગૌ હત્યા સંદર્ભમાં ભાજપ સરકાર ખૂબ જ કડક કાર્યવાહી કરે છે. ભાજપની આ જ સરકાર છે જેણે કાયદો પણ બનાવ્યો છે. જ્યાં જ્યાં આવા દુઃખદ બનાવો બને છે તેની સામે ખૂબ જ હાઇ લેવલની કામગીરી કરી છે. ગૌ હત્યા અને ગૌ માંસની બાબતમાં મોટા ભાગે દરેક જગ્યાએ કાર્યાવાહી કરવામાં આવી છે અને તેમને સજા પણ આપવામાં આવી છે.'અનેક લોકો વિરુદ્ધ પાસાની કલમ પણ લગાડવામાં આવી છે. છતાં પણ ક્યાંક છૂટક બનાવ બનતા હોય છે પણ આવા બનાવમાં ગૃહ વિભાગ તાત્કાલિક કડક કાર્યવાહી કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ આ બાબતે સહેજપણ બાંધ છોડ ચલાવવા માંગતા નથી. કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે.'રોજ ગૌમાંસ પકડાય છેઃ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ભાજપ સરકાર ગૌ હત્યા મામલે કાયદો લાવી છે. જેનો દેશ-દુનિયામાં ઢંઢેરો પીટી રહ્યાં છે. બીજીતરફ રોજ ગૌમાંસ પકડાય છે.હાલમાં જે આંકડો સામે આવ્યો છે એ તો સત્તાવાર રીતે પકડાયેલા ગૌ માંસનો આંકડો સામે આવ્યો છે પણ બિનસત્તાવાર રીતે તો આનું આખું નેટવર્ક 10 ગણું મોટું હોવાનો ચોંકાવનારો દાવો કિશોર વાટેલિયાએ કર્યો છે.કાયદાનો અમલ નથી થતોઃ વિશ્વ હિન્દુ પરિષદ ગૌ માંસ અને ગૌ તસ્કરી માટે તસ્કરોની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરતાં વાટેલિયાએ કહ્યું, ગામડાંઓમાં ગેરકાયદેસર કતલખાનાઓ ચાલતાં હોય છે. પરિવહનના નિયમ પ્રમાણે ગૌ વંશ કે ગૌ માંસને સાંજના સાત વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી પરિવહન કરાવી શકાય નહીં. રાત્રે સમાજ તો સૂતો હોય છે પણ તેની સાથે સાથે તંત્ર પણ સૂતું હોય છે. આ લોકો રાતના સમયે જ હેરાફેરી કરતાં હોય છે. આનો અર્થ શું સમજવો કે તંત્રની પણ ક્યાંક તો મિલીભગત હશે જ અથવા તો અંદરો અંદર વ્યવહારો થતાં હોય તો જ આવું થાય ને? કાયદો છે પણ તેની અમલવારી થતી નથી.ગાયને રાજ્ય માતાના દરજ્જાની માંગ અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો કે, વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન જે આંકડાઓ આવ્યાં તેમાં અલગ અલગ જિલ્લામાંથી મોટા પાયે ગૌમાંસ પકડાઈ રહ્યું છે. આ ગૌ હત્યા થાય છે ક્યાં અને ક્યાંથી આટલું ગૌમાંસ આવી રહ્યું છે? કેમ આટલા કાયદા છે છતાં ડર નથી જોવા મળતો? ભાજપના બતાવવાના અને ચાવવાના બન્ને અલગ અલગ છે એટલા માટે અમે વિધાનસભામાં બિલ લાવ્યાં કે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપો.સરકારના ત્રણેય લોચન ખુલ્લા છેઃ ભાજપ જો ગુજરાત સરકાર આટલી સખ્તાઇ વર્તી રહી છે તો ગૌમાંસનો જથ્થો ક્યાંથી આવે છે? આ સવાલના જવાબમાં ડૉ. અનિલ પટેલે કહ્યું, આ અંગે કાયદો પણ છે અને પ્રતિબંધ પણ છે. સમાજમાં અનેક પ્રકારના ગુનેગારો પણ હોય છે. આવા ગુનેગારો માત્ર ગૌ હત્યામાં જ નહીં પરંતુ અનેક ગુનાઓમાં સંકળાયેલા હોય છે. આ એક સામાજિક સમસ્યા છે. કેટલાક લોકો કટ્ટર માનસિકતા ધરાવતા હોય છે. આવા કારણે કેટલાક છૂટક બનાવો બનતા હોય છે પણ સરકારના ત્રણેય લોચન ખૂલ્લા જ છે.જો કે કિશોર વાટેલિયાનું માનવું છે કે જે કામ સરકારે કરવાનું હોય તે ગૌરક્ષકો કરે છે.કેટલાક કિસ્સામાં પોલીસ સમાધાન કરવાનું કહે છેઃ વિશ્વ હિન્દુ પરિષદ તેમણે જણાવ્યું કે, ગૌ રક્ષકોએ બે મોરચે લડવું પડી રહ્યું છે. ગાંધીનગરમાં વર્લ્ડ ફેમસ મહાત્મા મંદિર બનાવ્યું છે. એ જ ગાંધી બાપુએ લખ્યું છે કે ગૌ વંશના રક્ષણની જવાબદારી સરકારની છે, સમાજની નથી. આવામાં સરકારનો તો કોઇ રોલ દેખાતો નથી. અમારા વિશ્વ હિન્દુ પરિષદની આસ્થા અને મુખ્ય ઉદ્દેશ છે કે ગાય માતા પર ક્યારેય આંચ નહીં આવા દઇએ. જે કામ સરકારે કરવાનું હોય તે કામ ગૌ રક્ષકો કરે છે. આવામાં અમે કામગીરી કરીએ તો અમારે પહેલાં તો તસ્કરો સામે લડવાનું હોય છે પછી પોલીસ સામે લડવું પડે છે. કેમ કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ પણ કહેતી હોય છે કે સમાધાન કરી નાંખો એટલે એમાં સજા માટે અમારે તેમની સામે લડવું પડે છે.ગૌતસ્કરો ગાંધીનગરના અડાલજમાંથી વાછરડાને ઉઠાવી ગયા હતાઅમિત ચાવડાએ ભાજપ પર બે મોઢાની વાત કરવાનો આરોપ લગાવ્યો.ચાવડાના મતે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાયના નામે રાજકારણ કર્યું. તેઓ બે મોઢાની વાત કરે છે. એક બાજુ મત લેવા માટે જાય ત્યારે ગાય માતા, હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વાત કરે છે. બીજી બાજુ ચૂંટણી માટે ડોનેશનની વાત આવે ત્યારે બીફ એક્સપોર્ટ કરતી કંપનીઓ પાસેથી કરોડોનું ડોનેશન લે છે.કિશોર વાટેલિયાએ સુરતના માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો.ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ તેમણે કહ્યું કે, હથોડા ગામે કસાઇઓ ગૌ વંશની હત્યા કરવાના હતા. જેની બાતમી કાર્યકરોએ આપી એ પછી 4થી 5 નાના લેવલના પોલીસ અધિકારીને ત્યાં મોકલવામાં આવ્યા હતા પણ એ ખ્યાલ હોવો જોઇએ કે જે વ્યક્તિ પશુઓનું કતલ કરે છે તે માણસોનું કતલ કરતાં ખચકાશે નહીં.'એ જગ્યાએ કેટલું રિસ્ક છે તે જાણ્યા વગર જાય છે અને પછી કસાઇઓ હુમલો કરે છે. જેના પછી પોલીસ તંત્રના ધાડેધાડા ઉતારવામાં આવે છે. ઘોડા છૂટી જાય પછી તમે તાળા મારવા જાઓ છો, આ માત્ર દેખાડો છે. આની જગ્યાએ કડકમાં કડક કાર્યવાહી કરીને એક-બેને સજા કરીને જેલમાં મોકલવા જોઇએ જેથી ડર ઊભો થશે.'કોંગ્રેસના ધારાસભ્યોએ ગૌમાંસ મુદ્દે સરકારને ગૃહમાં ઘેરી હતીઆ તરફ ભાજપનો દાવો છે કે, અત્યાર સુધીમાં આ કામગીરી સાથે સંકળાયેલા જે પણ વાહનો પકડવામાં આવ્યાં છે તેની હરાજી પણ કરાઇ છે. ગંભીર ગુનામાં જે પ્રકારની સજા કરવામાં આવે છે તેવી જ સજા આમાં પણ કરવામાં આવી છે.વિપક્ષ વોટ બેંક સાચવે છેઃ ભાજપ વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે કસાઇઓ પાસેથી હપ્તા લઇને તેમને બેરોકટોક આવી કામગીરી કરવા દેવાય છે આ અંગે ડૉ. અનિલ પટેલે કહ્યું કે, વિપક્ષને એટલું જ કહેવું છે કે તે પોતાની મત બેંક સાચવવાની કોશિષ કરે છે.અમિત ચાવડાએ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ કરતા કહ્યું, ઢોર વાડાના નામે અમદાવાદ કે પછી બીજા કોર્પોરેશનોમાં કેપેસિટી કરતાં પણ 10 ગણી ગાયો ભરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતના કારણે પાંજરાપોરમાં અનેક ગાયોના મૃત્યું થયા છે. અમે મુખ્યમંત્રીને પણ કહ્યું છે તે તેઓ અમારા આ બિલના સમર્થનમાં આવે અને સૌ ભેગા થઇને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે.વાટેલિયાએ સરકાર તરફથી સહકાર ન મળતો હોવાનું પણ કહ્યું.તેઓ કહે છે કે, ઉદ્દેશ્ય અને આશા તો એ હતી કે આ દેશમાં હિન્દુવાદી સરકાર આવે તો આ બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય પણ હાલમાં હિન્દુઓની સરકાર છે અને ગૌ રક્ષકો કામ પણ કરી રહ્યાં છે છતાં કોઇ સાથ સહકાર આપી રહ્યું નથી.ગૌરક્ષકોને અપાતું ઇનામ કેમ બંધ કરાયું? પહેલાં ગૌરક્ષકોને 200 રૂપિયા અને પછી 500 રૂપિયાનું ઇનામ મળતું હતું પણ હવે સરકારે આ ઇનામ બંધ કરી દીધું છે.આ અંગે ડો. પટેલે કહ્યું કે, સરકાર સહાનુભૂતિપૂર્વક ગૌરક્ષકના સંદર્ભમાં નિર્ણય લેશે. હું વિનંતી પણ કરું છું કે સાચા ગૌરક્ષકને પૂરતું પ્રોટેક્શન આપવામાં આવે. ગૌરક્ષકો દ્વારા ગૃહ વિભાગને જે માહિતી મળે છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવે જ છે.જો કે વિહિપને આમાં બહાનું લાગે છે.વાટેલિયાના કહેવા પ્રમાણે, શરૂઆતમાં ગૌ રક્ષકોને ઇનામના ભાગરૂપે 200 રૂપિયા આપવામાં આવતાં હતા. જેના પછી તેમાં વધારો કરીને 500 રૂપિયા કરાયા પણ એ પછી એકાએક ઇનામ બંધ કરી દીધું. ઇનામ બંધ કરવા પાછળના પણ કેટલાક ચોંકાવનારા કારણો સામે આવ્યાં. એમાં કારણ આપવામાં આવ્યું કે આમાં ખોટા ગૌ રક્ષકો પણ ખોટી રીતે લાભ લઇ જાય છે. સરકાર કાયદો બનાવે છે તો તેમાં જોગવાઇ પણ એવી હોવી જોઇએ કે જે ખોટી રીતે ઇનામ લઇ જાય તો તેને દંડવામાં આવે, બાકી તો હકીકતમાં આ તેમનું એક બહાનું જ છે.કોંગ્રેસે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરી છેજ્યારે અમિત ચાવડાએ કહ્યું કે, આપણે ત્યાં કાયદો છે. ડબલ એન્જિનની સરકાર છે. ગાયના નામે મત લીધા હોય આવી પરિસ્થિતિમાં ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી કોઇ ખાનગી સંસ્થા કે વ્યક્તિની ક્યાં છે? આ જવાબદારી પ્રજાએ ચૂંટેલી સરકારની અને મંત્રીઓની છે.ગૌરક્ષકો પર ખૂબ જોખમ હોય છેઃ વિશ્વ હિન્દુ પરિષદગૌમાંસ કે ગાયની તસ્કરી અટકાવવા જતી વખતે ગૌરક્ષકો પર કેટલું જોખમ હોય છે તેનો ઉલ્લેખ કરતા વાટેલિયાએ કહ્યું કે, આમાં ખૂબ જોખમ રહેલું હોય છે. બાતમી મળ્યાં બાદ અમે કોઇ વિસ્તારમાં પહોંચીએ પણ એ લોકો પ્રિ પ્લાનિંગ કરીને આવતાં હોય છે. તેમને એ વાતનો અંદાજો તો હોય છે કે તેઓ પકડાઇ જવાના છે એટલે તેઓ જીવના જોખમે પણ હુમલો કરતા હોય છે. ગૌરક્ષકો ઉપર વાહન પણ ચડાવી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં પણ અમે ના છૂટકે તેમને પકડતાં હોઇએ છીએ.ગૌરક્ષકોએ બચાવેલી ગાયોનું પછીથી શું થાય છે તે અંગે વાટેલિયા જણાવે છે કે, આ પ્રશ્ન દરેકને થાય છે. એક બાજુ પોલીસ અધિકારીઓને FIR કરવી હોતી નથી પણ ગૌ રક્ષકો પકડે ત્યારે તેમને FIR દાખલ કરવી પડે છે. આ પછી તેના ફોલોઅપ લેવાની જવાબદારી સરકારની બની જાય છે કેમ કે તેમાં ગૌ રક્ષકો હસ્તક્ષેપ કરી શકતાં નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો. તેઓ કહે છે કે, 13 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટ્રકોમાં ગાયોને ભરીને ડીસા લઇ જવામાં આવતી